રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા જાહેર કરાઈ
રાજકોટ જિલ્લામાં નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૧ ફેબ્રુઆરી, તા.૧૬ ફેબ્રુઆરીએ મતદાન તેમજ તા.૧૮મીએ મતગણતરી
રાજકોટ તા.૨૧ જાન્યુઆરી-
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકી છે.
રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઉપલેટાની ૦૪ ડુમીયાણા તથા ૧૩- પાનેલી મોટી -૧, જસદણની ૧-આંબરડી,૫ ભાડલા, જેતપુરની ૧૫- પીઠડીયા, ગોંડલની ૨૦- સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમ જ રજા પર પ્રતિબંધ લગાવ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. ૨૧ જાન્યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા.૨૭ જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા.૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા.૪ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ, તા.૧૬ ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની તારીખ, તા.૧૭ ફેબ્રુઆરી જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ, તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા.૨૧ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરાઈ છે.
આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચારસંહિતાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કરેલ છે.